ભાણવડ શહેરથી માત્ર ત્રણ કિમી દૂર સોનમતી, વેરાડી અને વર્તું નદીના ત્રિવેણી સંગમે બિરાજમાન ઇન્દ્રેશ્વર મહાદેવ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિંહોના નવા નિવાસ સ્થાન એવા બરડા ડુંગરની તળેટીમાં શિવ ભક્તોના આસ્થાના કેન્દ્ર સમું પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર બરડા ડુંગરની કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. ત્રણ નદીના સંગમ સ્થાન પર આ મંદિર આવેલું છે. એક લોકવાયકા અનુસાર આ મંદિરમાં ભગવાન શિવની પ્રથમ પૂજા- અર્ચના કોણ કરે છે, તે આજે પણ કોઈ જાણી શક્યું નથી
શ્રાવણ માસના બીજા સોમવારે
ગુજરાત રાજ્યના પશ્ચિમ કાંઠે આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક પ્રાચીન શિવ મંદિરો આવેલ છે. આ તમામ પ્રાચીન મંદિરોનું કંઈક ને કંઈક મહત્વ રહેલું છે. આજે આપણે ભાણવડ ગામથી નજીક પ્રાચીન ધાર્મિક તીર્થ સ્થાન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર વિશે માહિતગાર થઈશું
પ્રકૃતિની અપાટ સુંદરતાના પ્રતીક સમા બરડા ડુંગરની તળેટીમાં આવેલા ભાણવડ ગામથી અંદાજિત ત્રણ કિલોમીટર દૂર સોનમતી, વેરાડી અને વર્તું નદીના ત્રિવેણી સંગમ પર સ્થિત ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પરિસરનો સરકાર દ્વારા અંદાજિત રૂ.૨૫ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે
પૌરાણિક કથાઓ અનુસાર, પાંડવો દ્વારા પોતાના વનવાસ કાળ દરમ્યાન ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત એક પૌરાણિક કથા અનુસાર હજારો વર્ષો પૂર્વે ઇન્દ્રની માતા અદિતિના કુંડળ ભોમાસુર નામનો રાક્ષસ લઈ ગયો હતો. એ વાતની જાણ થતા ભગવાન શ્રી કૃષ્ણએ ભોમાસુરનો વધ કરી સત્યભામાને સાથે લઈ તે કુંડળ ઇન્દ્રને આપવા ગયા ત્યારે ઇન્દ્રલોકમાં શ્રી કૃષ્ણની પટ્ટરાણી સત્યભામાએ પારિજાતનું વૃક્ષ જોયું અને તેને સાથે લઈ જવાની હઠ પકડી. દેવરાજ ઇન્દ્રએ ના ભણી…ને આ પારિજાતનો મામલો શસ્ત્રયુદ્ધ સુધી પહોંચવાની તૈયારીમાં હતો. ત્યારે ભગવાન શંકર આવ્યા અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું. ત્યાં આવેલા શંકર ભગવાનની વિધિવત સ્થાપના ઇન્દ્રએ શ્રી કૃષ્ણ અને સત્યભામાના યજમાન પદે કરાવી, પ્રથમ અભિષેક ઇન્દ્રએ કર્યો, વળી ઇન્દ્રના કજિયાને શાંત કરવા ભગવાન પધાર્યા હોવાથી આ મહાદેવનું ઇન્દ્રેશ્વર મહાદેવ નામ પડ્યું. પૌરાણિક દૃષ્ટિએ જોઈએ તો પુરાણોમાં ઉલ્લેખ છે કે, ભારતના મણિકર્ણિકા ઘાટ, કાશી વિશ્વનાથ, ઉજ્જૈન આદિ કુલ સાડાત્રણ “જાગતા” સ્મશાન પૈકી અડધા જાગતા સ્મશાન સામે જે મહાદેવની સ્થાપના કરવામાં આવી એ ઇન્દ્રેશ્વર મહાદેવ જે પ્રખ્યાત છે.
આજે પણ ઇન્દ્રેશ્વર મહાદેવ પ્રથમ પૂજા કોણ કરે છે, ક્યારે કરી જાય છે, તે જાણી શકાયું નથી: ત્યાં દર્શન જાવ એટલે શિવલિંગ પર તાજું ફૂલ જોવા મળે
એવી લોકવાયકા છે કે, ત્રિવેણી સંગમ પર સ્થિત ઇન્દ્રેશ્વર મહાદેવની પ્રથમ પૂજા કોણ અને ક્યારે કરી જાય છે ! એ આજ સુધી જાણી શકાયું નથી. જ્યારે પણ મહાદેવના દર્શન કરો ત્યારે શિવલિંગ પર તાજું ફૂલ જોવા મળે છે એટલે કે, પ્રથમ પૂજા કોઈ કરી શકતું નથી ને શિવજી અપૂજ રહેતા નથી.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાચીન અને સાંસ્કૃતિક વિરાસતોના સંરક્ષણ સાથે વિકાસની નેમ ને આગળ ધપાવતા “વિકાસ ભી, વિરાસત ભી” સૂત્રને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપેરે અનુસર્યું છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા અંદાજીત રૂ. ૨૫ કરોડના ખર્ચે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પરિસરના વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આરતી ઘાટ, ભોજનાલય, સત્સંગ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ મંદિર પરિસરના વિકાસ થકી ભાણવડ તાલુકાના નાગરિકો તેમજ અન્ય પ્રવાસીઓ માટે પ્રાચીન મંદિર આકર્ષણનું કેન્દ્ર બનશે